કેન્દ્રીય સરકાર આવતા અઠવાડિયે સંસદમાં એક બિલ રજૂ કરીને ચોક્કસ નાઝી ચિન્હોના જાહેરમાં પ્રદર્શન અથવા તેનો વેપાર કરવા પર પ્રતિબંધ મૂકવા જઇ રહી છે.
મતલબ કે, જો કોઇ વ્યક્તિ જાહેરમાં અથવા ઓનલાઈન માધ્યમ પર નાઝી પ્રતીકો પ્રદર્શિત કરશે તો તેને 12 મહિના જેલની સજા થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મેલબોર્નમાં યોજાયેલા પ્રદર્શનમાં નિયો-નાઝી ચિન્હો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય સરકારના આ પગલા બાદ એટર્ની જનરલ માર્ક ડ્રેફસે જણાવ્યું હતું કે, પ્રતિબંધના કારણે નાઝી પ્રતીકોના વેપારને અટકાવવામાં પણ મદદ મળશે.
અને રાજ્ય દ્વારા અગાઉથી જ લાગૂ કરવામાં આવેલા કાયદાઓ માટે ઉપયોગી બનશે.
એટર્ની જનરલે જણાવ્યું હતું કે, આ ચિન્હોને સાહિત્યિક અને શૈક્ષણિક ઉપયોગ માટે પ્રતિબંધમાંથી મુક્તિ અપાશે.
નાઝી ચિન્હ્ન અને પવિત્ર સ્વસ્તિક વચ્ચે ભેદ
હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મ પાળતા સમુદાયોમાં નાઝી ચિન્હ્ન અને પવિત્ર સ્વસ્તિક વચ્ચેના ભેદ વિશે જાગૃતિ ફેલાય તે માટેની માંગ કરી રહ્યા છે.
SBS News માં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે, હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાએ જૈન અને બૌદ્ધ ધર્મના સમુદાયો સાથે મળીને ઓસ્ટ્રેલિયાના વિવિધ ક્ષેત્રોમાં નાઝી ચિન્હો પર પ્રતિબંધ માટે કાયદો ઘડવામાં ફાળો આપ્યો છે.
હિંદુ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા ચેપ્ટરના પ્રમુખ મકરંદ ભાગવતે જણાવ્યું હતું કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં વિક્ટોરિયાનો કાયદો અમલમાં આવ્યો ત્યાર બાદથી નાઝી અને પવિત્ર સ્વસ્તિક ચિન્હ્નના ભેદ વચ્ચે જાગૃતિ ફેલાવવાના અભિયાનમાં વધારો થયો છે.
યહુદી સમુદાયમાં એક તરફ નાઝી ચિન્હને ધિક્કારની લાગણી સાથે જોવામાં આવે છે તો બીજી તરફ, હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મમાં સ્વસ્તિક ચિન્હ્નનો ઉપયોગ ધાર્મિક પ્રસંગોમાં કરવામાં આવે છે.
જેને શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.
પરંતુ, ઘણા બધા લોકો હજી બંને ચિન્હ્ન વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. લોકો ચિન્હો વચ્ચે ભેદ સમજી શકે એ માટે ધાર્મિક સંપ્રદાયો દ્વારા જાગૃતિ ફેલાય એવી માંગ કરવામાં આવી છે.
એડિલેડમાં ભારતીય દંપત્તિ સાથે બનેલો કિસ્સો
અગાઉ, એડિલેડમાં રહેતા એક ભારતીય દંપત્તિ સાથે પણ આ પ્રકારની ઘટના બની હતી.
તેમણે ઘરની બહાર દિવાળી નિમિત્તે રંગોળી કરી હતી. જેને એક પોસ્ટ ડિલીવરી કરી રહેલી વ્યક્તિએ તેના પગથી ભૂંસી નાંખી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
મળતી વિગતો પ્રમાણે, એડિલેડમાં રહેતા નિજેશ હિરપરા તથા તેમની પત્ની પૂજાએ દિવાળીના તહેવાર નિમિત્તે ઘરની બહાર રંગોળી કરી હતી. જેમાં હિન્દુઓના પવિત્ર ચિન્હ સ્વસ્તિકની ડીઝાઇન કરી હતી.

Source: Nijesh Hirpara
નિજેશ હિરપરાએ SBS Gujarati ને જણાવ્યું હતું કે, રંગોળીમાં હિન્દુ ધર્મના પવિત્ર ચિન્હ સ્વસ્તિકની ડીઝાઇન કરવામાં આવી હતી. અને, તે નાઝીના ચિન્હ જેવું જ લાગે છે.
ડિલીવરી કરનાર વ્યક્તિનું ધ્યાન જ્યારે તે રંગોળી પર પડ્યું ત્યારે તેણે નાઝીનું ચિન્હ માનીને તેને ભૂંસી નાંખી હશે પરંતુ તે ખરેખર હિન્દુ ધર્મના ચિન્હ સ્વસ્તિકની ડિઝાઇન હતી.
નિજેશે જણાવ્યું હતું કે લોકોમાં સ્વસ્તિકના ચિન્હ વિશે જાગૃતિ ફેલાય તે ખૂબ જ જરૂરી છે. હિન્દુ ચિન્હ અને નાઝીના ચિન્હ વચ્ચેને ભેદ સમજવો જરૂરી છે.
હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયા ચેપ્ટરના પ્રમુખ મકરંદ ભાગવતે ઉમેર્યું હતું કે, હિન્દુ ઘર્મમાં સ્વસ્તિક પવિત્ર ચિન્હ છે અને તેને ઘરના દરવાજા પર લગાવવામાં કે દોરવામાં આવે છે.
અને, નાઝી ચિન્હ પર પ્રતિબંધ મૂકાયા બાદ અમે કોઇ પણ પ્રકારના ડર વિના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્વસ્તિકનો ઉપયોગ કરી શકીએ છીએ.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.